ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના ગામમાં કે નજીકના સ્થળે રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના કાર્યરત છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) અને અમીનપુરા ગામે ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકીએ કામલપુર (ધરવડી) ખાતે મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા નવીન આંગણવાડીના બાંધકામ, વ્યક્તિગત ઘાસચારાના વાવેતરના કામોનું જાતનિરિક્ષણ કર્યું હતું. સાથે જ કામલપુરના સરપંચશ્રીને નવીન પંચાયત ઘરના નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા સૂચના આપી હતી.
મનરેગા યોજના હેઠળ શ્રમિકોને તેમની કામગીરીના પ્રમાણમાં વેતનની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે તમામ શ્રમિકોને રૂ.239/- લેખે પૂર્ણ વેતન મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જોષી દ્વારા મેજરમેન્ટ પોલના ઉપયોગ દ્વારા કામની વહેંચણી અને તે મુજબ કરવાના થતા કામ અંગે શ્રમિકોને સમજ આપી હતી.
