ઉત્તર ગુજરાત સહિત ગુજરાતની નવ આયુર્વેદ કોલેજના જોડાણ રદ કરી દેવાના તઘલખી નિર્ણય સામે 540 વિદ્યાર્થીના ભાવી સામે પ્રશ્નાર્થ ઊભા થયા હતા. જોકે આ મુદ્દે આયુર્વેદ કોલેજના સંચાલક મંડળોએ સરકારમાં કરેલી રજૂઆતના અંતે કુલપતિનો નિર્ણય રદ કરી જોડાણ ચાલુ રાખવા હકારાત્મક નિર્ણય લેતાં વિદ્યાર્થીઓ સહિત કોલેજ સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.આ મુદ્દે એબીવીપીએ પણ આયુર્વેદ યુનિવર્સિટી સામે બાંયો ચઢાવી આ જોડાણ રદ ન કરવા માંગ કરી હતી.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ 50 લાખ કોશન મની તરીકે ભરવા હુકમ કરી 31.3.2023 સુધી તમામ ક્ષતિઓ પૂર્ણ કરવા 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરવાનો હુકમ કર્યો હતો. જો આ મુદત સુધીમાં ક્ષતિપૂર્તિ નહીં થાય તો કોશન મની જપ્ત કરવા નોટિસ આપી હતી.જો કે આ નિર્ણય સામે આયુર્વેદ કોલેજના સંચાલકોએ સરકારમાં રજૂઆત કરતાં વચગાળાનો સ્ટે આપી શરતોને આધિન 50 લાખની જગ્યાએ 10 લાખ ભરવાનો હુકમ કરી એફિલિયેશન ચાલુ રાખવા મંજૂરી આપી છે.
છતાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ આ નિર્ણયને ઘોળીને પી ગયા હતા. અને કોલેજોને દબાણ કરતાં આ મુદ્દો સરકારમાં જતાં છેવટે વિદ્યાર્થીઓના હિતમાં સરકારે નિર્ણય લઈ નવ કોલેજના જોડાણ ચાલુ રાખવા નિર્યણ કરેલ છે.