મારો અવાજ,
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન*
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંતર્ગત કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ.
*ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર.રાવલએ મહોત્સવના સુચારુ આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા*
પાલનપુર
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન લાખો શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થાને નવી ઊંચાઈ આપશે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. જેના લીધે આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે. આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંગે બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ ૨૧ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રિકોને મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેથી વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈપૂર્વક થાય તેવું આયોજન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર રાવલે જણાવ્યું હતું કે, આ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં રાજ્ય સરકારની સીધી દેખરેખ રહેશે. જેથી યાત્રાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને એમને એક યાદગાર અનુભવ મળે એ પ્રકારનું આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર. એન. પંડયા, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી આર.આઈ.શેખ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.