મહેસાણા જિલ્લામાં વિવિધ મંદિરોમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ તેમજ વિવિધ સંસ્થાઓમાં ફૂડ સ્ટાન્ડર્ડની ચકાસણી કરી સર્ટિફિકેશન માટે સ્થાનિક ફૂડ વિભાગ બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા થર્ડ પાર્ટી નિરીક્ષણ બાદ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. જેમાં તાજેતરમાં વડનગરના હાટકેશ્વર મંદિર, ઊંઝાના ઐઠોરના ગણપતિ મંદિર અને યાત્રાધામ બહુચરાજીમાં બહુચરાજી મંદિર માં પ્રસાદ આરોગ્યપ્રદ હોવા અંગે હાઇજેનિક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે .બુધવારે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં મળેલી કમિટી બેઠકમાં મંદિર સંસ્થાના પ્રતિનિધિઓને આરોગ્યપ્રદ ભોગ (હાઇજેનિક પ્રસાદ) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લા ખાદ્ય સુરક્ષા કમિટીની બેઠક ચેરમેન કલેકટર એમ નાગરાજન, પોલીસ વડા અચલ ત્યાગી, કમિટીના સેક્રેટરી મેમ્બર ડેઝિગ્રેટેડ ઓફિસર વી.જી. ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી અને ફૂડ સેફ્ટી અંતર્ગત કામગીરીની સમીક્ષા કરાઇ હતી. આ દરમિયાન તાજેતરમાં આવેલા મંદિરોના ભોગ સર્ટિફિકેટ સંસ્થા પ્રતિનિધિઓને અર્પણ કરાયા હતા.
આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ વડનગર વૃદ્ધાશ્રમને બેસ્ટ હાઇજેનિક કેમ્પસ તરીકે સર્ટિફિકેશન કરાવ્યું છે. મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગને આરોગ્યપ્રદ ફૂડ અંગેનું સર્ટિફિકેશન થઈ આવતાં સંસ્થાના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરીને સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. 8 વર્ષમાં ફૂડ સેફટી ભંગના 456 કેસ, રૂ.1.68 કરોડની પેનલ્ટી મહેસાણા જિલ્લામાં વર્ષ 2014થી અત્યાર સુધીના 8 વર્ષમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના વિવિધ ભંગ બદલ 456 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ.1,68,18,600 પેનલ્ટી વસૂલવામાં આવી છે, જ્યારે 46 કોર્ટ કેસ કરાયા છે.