(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર તાલુકાના ચંડીસર HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) ટર્મિનલ્સની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આગ લાગી છે તેવા સમાચાર મળતા બનાસકાંઠા જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ.જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.
HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર HPCL માં આગ લાગવા સહિતની કોઇપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.
આ મોકડ્રીલ વખતે ડિઝાસ્ટર નાયબ મામલતદારશ્રી મહેશ દરજી અને અવનીબેન મોદી, HPCLના ટીમ ઇન્ચાર્જશ્રી ઉત્તમ યાદવ, મેડિકલ ઓફિસર ર્ડા. નાયક, ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસરશ્રી સંજય ચાૈહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.