મારો અવાજ,
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રણાવાસ- દાંતીવાડા ડેમ વિસ્તારમાં યોજાયેલ મોક ડ્રિલ દરમિયાન NDRF ની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું.
NDRF વડોદરા ટીમના લીડર લખનલાલ રઘુવંશીએ સમગ્ર મોકડ્રિલને ઓપરેટ કરી તેનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમે મોકડ્રિલની સાથે સાથે NDRF દ્વારા સ્થાનિક ગ્રામજનોમાંથી વોલન્ટીયર્સ અને આપદામિત્ર તૈયાર કરવાની ભૂમિકા પણ નિભાવીએ છીએ. કોઈ દુર્ઘટના બને એ પહેલાં એની પૂર્વ તૈયારી માટે કેવી રીતે સજ્જતા કેળવાય એ શિખવવાની સાથે સાથે ઘરવખરી અને વેસ્ટ વસ્તુનો બેસ્ટ ઉપયોગ કરવાની કેટલીક ટેકનિકો શીખવી લોકોને કોઈના પ્રાણ બચાવવા જેવું પુણ્યનું કામ કરવા તત્પર રહેવા અપીલ કરી હતી.
NDRF વડોદરા દ્વારા આયોજિત મોકડ્રિલમાં NDRFના આસીસ્ટન્ટ કમાન્ડરશ્રી વિક્રમ, પાલનપુર મામલતદારશ્રી ધર્મેશ કાછડ, દાંતીવાડા મામલતદારશ્રી માધવી પટેલ, ડિઝાસ્ટર મામલતદારશ્રી બી.વી.પટેલ સહિત SDRF ટીમ, યુજીવીસીએલ, મેડિકલ ટીમ, તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.